સંવેદનશીલ અને પારદર્શક ગુજરાત સરકાર દ્રારા લોકોના સામુહિક પ્રશ્નોના નિકાલ માટે અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગ્રામજનોને કચેરી સુધી આવવુ ન પડે તે માટે જિલ્લા કલેકટર સુશ્રી ગાર્ગી જૈન દ્વારા લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે છોટાઉદેપુર તાલુકાના સિમલફળિયા ગામે તેમના અધ્યક્ષસ્થાને રાત્રી સભા યોજાઈ હતી. રાત્રિસભામાં સરકારની વિવિધ યોજનાઓ, સ્વચ્છ ભારત પ્લાસ્ટિક મુક્ત ભારત, બેટી બચાવો બેટી પઢાવો, વહાલી દીકરી યોજના જેવા વિવિધ અભિયાનોની ભવાઈ મારફતે લોકજાગૃતિ કેળવી માહિતગાર કરાયા હતા. સાથે સરકારની યોજનાઓ વિશે છોટાઉદેપુરના શિક્ષકો દ્વારા નાટક રજૂ કરવામાં આવ્યું હતું. સાથે ઉપસ્થિત સૌએ સ્વચ્છતા અંગે પ્રતિજ્ઞા લીધી હતી. ગામના ગ્રામજનો દ્વારા રાત્રીસભામાં સામુહિક પ્રશ્નો જેવા રસ્તાના પ્રશ્નો, એમ.જી.વી.સી.એલના પ્રશ્નો, પાણીના પ્રશ્નો, સિંચાઈના પ્રશ્નો, બસના પ્રશ્નો, શાળા સહિતના પ્રશ્નો રજુ કરવામા આવ્યા હતા. દરમિયાન કલેકટરશ્રીએ ગ્રામજનોના ગામના સામુહિક પ્રશ્નો વહેલી તકે નિકાલ કરવાની ખાત્રી આપી હતી. ગ્રામજનોના સામુહિક પ્રશ્નોને પ્રથમ અગ્રતા આપી તેના નિકાલ માટે સબંધિત ખાતાના અધિકારીઓને સુચનાઓ પણ આપી હતી. રાત્રીસભામાં જિલ્લા કલેકટર સુશ્રી ગાર્ગી જૈન અને ઈન્ચાર્જ ડી.ડી.ઓ. અને પ્રાયોજના વહીવટદાર શ્રી કલ્પેશકુમાર શર્માના હસ્તે ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થી બહેનોને મંજૂરી હુકમ, સ્વરોજગાર યોજના હેઠળ લોન માટે પાંચ લાખની લોન સહાયનો ચેક, કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી કે.ડી.ભગત, નાયબ કલેકટરશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો રાત્રીસભામાં ઉપસ્થિત રહ્યા હતા.